કપાસ નિ ખેતિ પદ્ધતિ
કપાસ પાકને સારા નિતારવાળી, મધ્યમ કાળી, કાળી-બેસર જમીન વધુ માફક આવે છે. જે જમીનમાં લાંબાં સમય સુધી પાણી ભરાઇ રહેતું હોય તેવી જમીન કપાસ પાક માટે અનુકુળ નથી. કપાસ ઉંડા મુળ ધરાવતો પાક હોઇ મુળનાં વિકાસ માટે તેમજ વાવેતર બાદ જમીનમાં ભેજ લાંબા સમય સુધી સચવાઇ રહે તે માટે આગળનો પાક લીધા બાદ તુરંત જ જમીનનાં પ્રકાર પ્રમાણે બે થી ત્રણ ખેડ કરી સમાર મારી જમીન સમતળ બનાવવી. ભારે થી મધ્યમ કાળી જમીનને દર બે થી ત્રણ વર્ષે એક વખત હળની ઉંડી ખેડ કરવાથી જમીનમાં રહેલ જીવાંત, ઇંડા, કોષેટા વગેરે જમીનની સપાટી પર આવવાથી સુર્યની ગરમીથી અથવા પક્ષીઓ દ્વારા નાશ પામે છે, અને જમીનમાં ભેજનો સંગ્રહ વધારે થાય છે.
વાવણીનો સમય
દેશી કપાસનું વાવેતર જુનનાં છેલ્લા અઠવાડિયા પછી અસરકારક વરસાદ થયે તરતજ કરવું. વાવણી માટે જુલાઇ માસનું પ્રથમ પખવાડીયુ ખુબજ અનુકુળ સમય ગણાય છે. મોડી વાવણી (ઓગષ્ટ માસ) આર્થિક રીતે પોષણક્ષમ નથી.
વાવણી અંતર અને બીજનો દર
વધુ ઉત્પાદન માટે એકમ વિસ્તારમાં પુરતાં છોડની સંખ્યા જાળવવી ખુબજ જરૂરી છે. સંશોધનની ભલામણો મુજબ બે હાર વચ્ચે ઓછામાં ઓછુ ૪ ફુટ (૪૮ ઇંચ) અને હારમાં બે છોડ વચ્ચે ૧ ફુટ (૧૨ ઈંચ) નું અંતર રાખીને હેક્ટર (૪ વિઘા) નાં વાવેતર માટે ૭ કીલો બીજનો દર રાખી વાવણી કરવી. આ અંતર થી વધારે અંતરે વાવણી કરવી હિતાવહ નથી.
વાવણીની રીત
વાગડ વિસ્તારમાં કપાસની વાવણી મુખ્યત્વે ઓરીને કરવામાં આવે છે. સામાન્ય રીતે બિનપિયત ખેતીમાં બીજ જમીનમાં ૪-૫ સે.મી. ઉંડાઇએ ભેજમાં પડે તેવી રીતે વાવેતર કરવું. જેથી બીજનો ઉગાવો પુરતો મળી રહે. નીચાણવાળી જમીનમાં પાણી ભરાઇ રહેતુ હોઇ ત્યાં પાળી બનાવી બીજ પાળા ઉપર વાવણી કરતાં છોડ પાણીથી કહોવાઇ જતો અટકાવી જોઈએ
સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો
સેન્દ્રિય ખાતર જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ, જમીનની નિતાર શક્તિ, હવાની અવર જવર તથા જમીનની પ્રત સુધારે છે. તે જમીનમાં રહેલ સુક્ષ્મ જીવાણુંઓનું સંવર્ધન તથા તેમની પ્રવૃત્તિમાં વધારો કરે છે. અને પોષકતત્વો પુરા પાડે છે. માટે પાયાના ખાતર તરીકે પાકને હેક્ટરે ૧૦ ટન (૪ થી ૫ ટ્રેઇલર) સારૂ કોહવાયેલું છાણીયુ ખાતર દર ત્રણ ચાર વર્ષે એક વખત આપવું જોઇએ. જો સેન્દ્રિય ખાતર પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય તો ચાસે ભરવું અને વરસાદ થયે તે ચાસ માં કપાસની વાવણી કરવી જોઇએ. દિવેલી ખોળ હેક્ટરે ૫૦૦ કિલો વાવણી પહેલા ચાસમાં આપવાથી સુકારના રોગની અસર ઓછી જોવા મળે છે.
રાસાયણીક ખાતરોમાં હેક્ટર દીઠ ૪૦ કિ.ગ્રા. નાઇટ્રોજન (૮૭ કિ.ગ્રા. યુરીયા) બે સરખા ભાગે આપવો. ૨૦ કિ.ગ્રા. નાઇટ્રોજન ખાતર વાવણી બાદ ૨૦-૨૫ દિવસે પારવણી તથા નિંદામણ કર્યા બાદ આપવો. બીજો હપ્તો વાવણી પછી આશરે ૪૫ થી ૫૫ દિવસે આપવો. ખાતર આપતી વખતે જમીનમાં પુરતો ભેજ હોવો જરૂરી છે. કપાસના પાકમાં ફોસ્ફરસ અને પોટાશ્યુક્ત ખાતરો આપવાની ભલામણ નથી. છતાં જમીનની ચકાસણી કરાવી જરૂર જણાયતો જ જે તે તત્વોની ઉણપ પ્રમાણે ખાતરો આપવા.
નિંદામણ નિયંત્રણ અને આંતર ખેડ
નિંદણ પાક સાથે પ્રકાશ, ભેજ અને પોષક તત્વો માટે હરિફાઇ કરે છે. પાક લગભગ ૬૦ દિવસનો થાય ત્યાં સુધી નિંદણ પાકને નુકશાન કરે છે. જેથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તેથી હાથ નિંદામણ અને નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ તેમજ આંતર ખેડ કરી ખેતર નિંદામણ મુક્ત રાખવા જોઇએ. સંશોધનની ભલામણ મુજબ પેન્ડીમીથાલીન અથવા ફ્લુક્લોરાલીનનો હેક્ટર દીઠ ૯૦૦ ગ્રામ પ્રિ-ઇમરજન્સ છંટકાવ કરવો. તેની સાથે સાથે પાકની વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ બે વખત હાથ વડે નિંદામણ અને આંતરખેડ કરવી.
પિયત
દેશીકપાસને વધુ પાણી માફક આવતુ નથી. છોડની દેહ ધાર્મીક ક્રિયાઓ માટે ભેજ સતત મળવો જરૂરી છે. આપણા વિસ્તારમાં સામાન્યત: પાણીની ઉપલબ્ધી મર્યાદીત છે. આથી પિયતની સગવડ હોય અને વરસાદ લંબાય તો કટોકટીની અવસ્થા જેવી કે મહતમ ફુલ અવસ્થા અને જીંડવાના વિકાસની અવસ્થાએ પિયત આપવું. જો વિસ્તાર વધુ હોય અને પાણી મર્યાદીત હોય તો પાકને એકાંતરે પાટલે (ચાસમાં) આપીને પણ પાણીનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે.
પાક સંરક્ષણ
કપાસની દેશી જાતોમાં રોગ અને જીવાતનું પ્રમાણ નહીવત જોવા મળે છે. તેમ છતાં જ્યારે જીવાત ક્ષમ્ય માત્રા વટાવે ત્યારે જરૂરીયાત મુજબ યાંત્રિક, જૈવીક, તથા રાસાયણીક પધ્ધતિથી જરૂરીયાત મુજબ નિયંત્રણનાં પગલાં લેવાં.
કપાસની વીણી
કપાસના બીજા વિસ્તારોની સરખામણીમાં વાગડ વિસ્તારમાં કપાસની વીણી સીધી ના કરતાં કાલા સાથે જ તોડીને કરવામાં આવે છે. અને ત્યારબાદ સમય મળે કાલા ફોલાવીને કપાસ જુદો કરવામાં આવે છે. અને કાલાની વીણી ઝડપથી થાય તે હેતુથી વીણી ઉચ્ચક વજન ઉપર કરવામાં આવે છે. તેથી કપાસમાં કીટી કસ્તરનું પ્રમાણ ૧૬-૧૭ ટકા જેટલુ જોવા મળે છે. જે વિશ્વમાં સૌથી વધુ છે. વિશ્વ વ્યાપાર સંગઠનમાં ટકી રહેવા માટે કપાસને નિકાસ લાયક બનાવવા માટે કીટી કસ્તરનું પ્રમાણ ઓછું કરવુ ખુબજ અગત્યનું છે. જે કપાસની વીણી સમયે જરૂરી કાળજી લઇ મજૂરોને જરૂરી માર્ગદર્શન આપી કરી શકાય છે. તે માટે વીણીનાં દરને કપાસની ગુણવત્તા સાથે સાંકળવા જોઇએ. વીણીનો ખર્ચ ઘટાડવાનાં આશયથી એક જ વીણી કરવામાં આવેતો ધુળનાં રજકણો, કીટી ચોંટવાથી તેમજ કેટલીકવાર કમોસમી વરસાદથી કપાસની ગુણવત્તા ઘટી જાય છે. તારની ચમક ઓછી થાય છે. સુંવાળાપણું ઘટે છે. મજબુતાઇ પર અસર થાય છે. અને રંગ ઝાંખો પડે છે પરિણામે કપાસની કિંમત ઓછી મળે છે. માટે કપાસની વીણી કાલા ફાટે ત્યારે જમીન પરનાં સુકાં પાન, ધુળ, વગેરે ના ચોંટે તે રીતે સમય સર બે થી ત્રણ વખત કરવી જોઇએ.